
- નેપાળમાં શું થયું કે લોકો રાજાશાહી માટે રસ્તા પર ઉતરી આવ્યા?
નેપાળમાં શુક્રવારે રાજાશાહી સમર્થકોએ એક મોટું પ્રદર્શન યોજ્યું હતું. આ દરમિયાન કાઠમંડુમાં પ્રદર્શનકારીઓએ અનેક સ્થળોએ તોડફોડ અને આગજની કરી હતી. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણમાં એક પત્રકાર સહિત બે લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
આ પ્રદર્શન રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેને નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સમર્થન મળેલું છે. આ પાર્ટી દેશમાં રાજાશાહીની સ્થાપનાની માંગ કરી રહી છે.
બીબીસી નેપાળી સેવા અનુસાર, કાઠમંડુ પોલીસે આરપીપીના મહાસચિવ અને સાંસદ ધવલ શમશેર રાણા તેમજ પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રવિન્દ્ર મિશ્ર સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. નેપાળી પોલીસના ડીઆઈજી દિનેશ આચાર્યએ જણાવ્યું કે રાજાશાહી સમર્થક પ્રદર્શનમાં સંડોવણી બદલ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન કાઠમંડુના તિનકુને વિસ્તારમાં ભારે હિંસા થઈ હતી.
સરકારે રાજાશાહી સમર્થક પ્રદર્શનોની કડક નિંદા કરી છે. બીબીસી નેપાળી સેવા અનુસાર, શુક્રવારે કેબિનેટની બેઠકમાં પ્રદર્શન દરમિયાન થયેલી તોડફોડ, આગજની, લૂંટફાટ અને મૃત્યુની તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. નેપાળી સરકારના પ્રવક્તા પૃથ્વી સુબ્બા ગુરુંગે જણાવ્યું કે વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ઘાયલોને મફત સારવાર પૂરી પાડવાનો પણ નિર્ણય લેવાયો હતો.
કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં શનિવારે સવાર સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે શનિવારે સવારથી કાઠમંડુ ખીણમાં સ્થિતિ સામાન્ય છે.
હવે પરિસ્થિતિ કેવી છે?
બીબીસી નેપાળી સેવા અનુસાર, પોલીસે જણાવ્યું કે શનિવારે સવાર સુધી કાઠમંડુમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. સહાયક મુખ્ય જિલ્લા અધિકારીએ બીબીસી નેપાળી સેવાને કહ્યું કે શનિવારે સવારથી કર્ફ્યૂ પણ સ્થગિત કરી દેવાયો છે. જોકે, આનો અર્થ એ નથી કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે; આ એક સચેત નિર્ણય છે.
શુક્રવારે થયેલી હિંસામાં થયેલા નુકસાનનું વહીવટીતંત્ર મૂલ્યાંકન કરી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારના વિરોધ પ્રદર્શન દરમિયાન 53 પોલીસકર્મીઓ અને 24 સશસ્ત્ર બળના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. નેપાળી પોલીસનું કહેવું છે કે “પ્રદર્શનકારીઓએ આગજની, તોડફોડ અને લૂંટફાટ કરી હતી.”
જોકે, રાજાશાહીને પાછી લાવવાના સમર્થકો દ્વારા રચાયેલી સંયુક્ત જન આંદોલન સમિતિએ શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન પોલીસે અતિશય બળપ્રયોગ કર્યો હોવાના આરોપ લગાવ્યા છે. સમિતિના સંયોજક નવરાજ સુબેદીએ શનિવારે એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો કે “આ અપ્રિય ઘટના પોલીસના દમનને કારણે થઈ હતી.” તેમણે જણાવ્યું કે તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
પોલીસ દુર્ગા પ્રસાઈની શોધમાં
બીબીસી નેપાળી સેવા અનુસાર, નેપાળના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અંદાજે 10,000થી 12,000 લોકો રાજાશાહી સમર્થક પ્રદર્શનમાં એકઠા થયા હતા. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ છબી રિજાલે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓનો અંદાજ છે કે તે જ દિવસે ભૃકુટિમંડપમાં આયોજિત સોશિયાલિસ્ટ ફ્રન્ટના પ્રદર્શનમાં લગભગ 35,000 લોકો એકઠા થયા હતા. શુક્રવારે તિનકુને અને ભૃકુટિમંડપમાં 5,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલોમાં જણાવાયું કે પ્રદર્શનકારીઓએ તિનકુનેમાં અનેક ઘરોમાં તોડફોડ કરી, એક ઘરને આગ લગાવી દીધી અને આલોકનગરમાં સ્થિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુનાઇટેડ સોશિયાલિસ્ટ)ની કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓએ પેરિસદંડામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (માઓઇસ્ટ સેન્ટર)ની કચેરીમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો અને અનેક સરકારી વાહનોને આગ ચાંપી દીધી.
મંત્રાલયની પત્રકાર પરિષદમાં રિજાલે કહ્યું, “કારણ કે દુર્ગા પ્રસાઈએ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, તેથી આ ઘટના માટે મૂળભૂત રીતે તેઓ જ જવાબદાર છે. જે પણ નુકસાન થયું, તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોએ લેવી જોઈએ.” તેમણે જણાવ્યું કે “રાજાશાહી સમર્થકોએ તિનકુને વિસ્તારમાં અનેક ખાનગી ઘરોમાં તોડફોડ કરી અને એક હર્બલ પ્રોસેસિંગ કારખાના તેમજ તેના પરિસરમાં રહેલા વાહનોમાં આગ લગાવી હતી.”
તેમણે કહ્યું, “નેપાળના બંધારણમાં આપેલા સ્વતંત્રતાના અધિકારનો તેમણે (રાજાશાહી સમર્થકોએ) દુરુપયોગ કર્યો. પ્રદર્શનના નેતા દુર્ગા પ્રસાઈએ પોલીસ બેરિકેડને ગાડીથી તોડવાનો પ્રયાસ કર્યો. એવું લાગ્યું કે તેમનો ઇરાદો સુરક્ષા દળોને મારવાનો હતો. ત્યારબાદ જ પરિસ્થિતિ બગડી.”
એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દુર્ગા પ્રસાઈ ઝડપથી કાર ચલાવીને બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. તેમાં તેઓ પ્રદર્શનકારીઓને બેરિકેડ તોડીને આગળ વધવા પ્રોત્સાહિત કરતા પણ દેખાય છે. આ વિરોધ પ્રદર્શનના એક દિવસ પહેલાં ગુરુવારે જ પ્રસાઈએ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ સાથે મુલાકાત કરી હતી અને રાજાશાહી તેમજ ‘હિંદુ રાષ્ટ્રની સ્થાપના’ને પોતાનો ‘ધર્મ’ ગણાવ્યો હતો. રાજાશાહી સમર્થકોના કમાન્ડર પ્રસાઈની પોલીસ શોધ કરી રહી છે, પરંતુ તેઓ ગાયબ છે.
રાજાશાહી પુનઃસ્થાપનનું આંદોલન કેમ શરૂ થયું?
રાજકીય અસ્થિરતા વચ્ચે નેપાળમાં રાજાશાહીને પુનઃસ્થાપિત કરવાની માંગને લઈને છેલ્લા કેટલાક સમયથી સરગરમી વધી છે. તાજેતરના દિવસોમાં અનેક રેલીઓ અને પ્રદર્શનો થયા છે જેમાં રાજાશાહીને ફરી સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે. નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રની સક્રિયતા પણ તાજેતરમાં જોવા મળી છે.
આ મહિનાની 5 માર્ચે કાઠમંડુમાં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ બાઇક રેલી યોજી હતી, જેમાં નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે લોકો જોડાયા હતા. 6 માર્ચે પોખરામાં જ્ઞાનેન્દ્રએ પૂર્વ રાજા વીરેન્દ્રની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને આ દરમિયાન સેંકડો લોકોએ રાજાશાહી યુગનું રાષ્ટ્રગીત ગાયું હતું.
નેપાળમાં લોકતંત્ર આવ્યા બાદ જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહ ભાગ્યે જ જાહેરમાં દેખાતા હતા અને ખાસ પ્રસંગોએ માત્ર ઔપચારિક નિવેદનો જારી કરતા હતા. 9 માર્ચે તેઓ પોખરાથી કાઠમંડુ પહોંચ્યા, જ્યાં હજારો લોકોની ભીડ તેમના સ્વાગત માટે એકઠી થઈ હતી. આ ભીડમાં એક વ્યક્તિ જ્ઞાનેન્દ્રની તસવીર સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર લઈને ઊભો હતો.
સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (એકીકૃત માર્ક્સવાદી-લેનિનવાદી)ના કેન્દ્રીય સમિતિના સભ્ય વિષ્ણુ રિજાલે જ્ઞાનેન્દ્ર પર ‘રાજા બનવા માટે વિદેશીઓની દલાલી કરવાનો’ આરોપ લગાવ્યો હતો. એવું કહેવાય છે કે નેપાળમાં લોકો સરકારથી ખૂબ નિરાશ છે, જેનાથી રાજતંત્રના સમર્થકોને તક મળી છે.
નેપાળમાં હિંદુ રાષ્ટ્રની માંગને લઈને પણ છેલ્લા કેટલાક દિવસોથી હલચલ જોવા મળી રહી છે. માર્ચ 2023માં નેપાળના જનકપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન હંગામો થયા બાદ સાંપ્રદાયિક તણાવ ફેલાયો હતો. વાસ્તવમાં, અહીં જાનકી મંદિર નજીક એક મસ્જિદ છે, જ્યાં શોભાયાત્રામાં સામેલ લોકોએ હંગામો કર્યો હતો. નેપાળમાં આવું પહેલી વાર થયું હતું. વહીવટીતંત્રનું કહેવું હતું કે આ શોભાયાત્રા વિશ્વ હિંદુ પરિષદે આયોજિત કરી હતી.
બીબીસીના પત્રકાર રજનીશ કુમારના માર્ચ 2023ના અહેવાલ અનુસાર, નેપાળના વરિષ્ઠ પત્રકાર સીકે લાલનું કહેવું છે કે નેપાળના મધેશ વિસ્તારમાં આરએસએસ અને હિંદુત્વની રાજનીતિને 2014 પછી વધુ બળ મળ્યું છે. આ અહેવાલ મુજબ, જનકપુર સંભાગમાં હિંદુ સ્વયંસેવક સંઘના કાર્યવાહ રણજીત સાહે દાવો કર્યો હતો કે તેઓ ‘નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે.
નેપાળના તરાઈ વિસ્તારમાં યોગી આદિત્યનાથનો પણ પ્રભાવ છે, કારણ કે તેમનો ચૂંટણી વિસ્તાર ગોરખપુર નેપાળની સરહદ નજીક આવેલો છે. 2018માં યોગી આદિત્યનાથ જનકપુરમાં બરાત લઈને પણ પહોંચ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપ અને આરએસએસના નેતાઓની કાઠમંડુની ખૂબ મુલાકાતો થઈ છે.
માર્ચ 2023માં ભાજપના વિદેશી બાબતોના વડા વિજય ચૌથાઈવાલેએ કાઠમંડુ અને નેપાળના દૂરના વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. કાઠમંડુમાં તેમણે શીર્ષ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ભાજપ વિદેશમાં ‘ભાજપને જાણો’ નામનો કાર્યક્રમ ચલાવી રહી છે અને 2022માં આવા જ એક કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન પ્રચંડે ભાગ લીધો હતો.
નેપાળમાં માઓવાદીઓ સાથે દસ વર્ષના સંઘર્ષમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2007માં 240 વર્ષ જૂની રાજાશાહીને ખતમ કરીને લોકતંત્ર અપનાવવા પર રાજકીય પક્ષોમાં સહમતિ બની હતી. જોકે, ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ બંધારણ ઘડવાની પ્રક્રિયા આઠ વર્ષ સુધી લંબાઈ અને તેના પ્રસ્તાવોને લઈને લાંબો ગતિરોધ ચાલ્યો.
આ દરમિયાન બંધારણના પ્રસ્તાવોના વિરોધમાં થયેલા ભારે પ્રદર્શનોમાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા. 20 સપ્ટેમ્બર 2015ના રોજ જ્યારે નવું ધર્મનિરપેક્ષ બંધારણ લાગુ થયું ત્યારે કાઠમંડુમાં હિંસક પ્રદર્શનો થયા હતા અને આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
આખરે 2015માં નવું બંધારણ લાગુ થયું અને તેની સાથે નેપાળ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યું. પરંતુ નેપાળના ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યા બાદથી નેપાળી કોંગ્રેસના કેટલાક નેતાઓ હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપના માટે અભિયાન ચલાવી રહ્યા છે. ગયા વર્ષે નેપાળી કોંગ્રેસની મહાસમિતિની બેઠક પહેલાં નેપાળને હિંદુ રાષ્ટ્ર બનાવવાની માંગના મુદ્દાએ વધુ જોર પકડ્યું હતું.
વાંચક મિત્ર વધુ એક રસપ્રદ સ્ટોરી વાંચવી હોય તો આપેલી લિંક ઉપર તમે ક્લિક કરી શકો છો- અમેરિકામાં ભારતની ગુપ્તચર એજન્સી રૉ પર પ્રતિબંધની માંગ શા માટે થઈ રહી છે?