
- સતત તણાવ લેવાથી તમારા શરીર પર શું અસર પડે છે?
મોટાભાગના પુખ્ત વયના લોકો ઘણીવાર તણાવ અનુભવે છે. તેમને માથાના દુખાવાથી લઈને ચિંતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે થોડો તણાવ આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ જો તણાવ લાંબા સમય સુધી રહે તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે અતિશય તણાવ માનસિક અને શારીરિક બંને પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આનાથી તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને જીવનને મુશ્કેલ તેમજ ઓછું આનંદદાયક બનાવી શકે છે. જોકે, તણાવ પર નિયંત્રણ મેળવવું અને તેને થકાવટને બદલે તમારા ફાયદામાં ફેરવવું શક્ય છે.
તણાવ શું છે અને આપણે તેનો અનુભવ કેમ કરીએ છીએ?
તણાવ એ શરીરની મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર થવાની એક રીત છે. જ્યારે તમે તણાવ અનુભવો છો, ત્યારે તમારું શરીર એવા હોર્મોન્સ છોડે છે જે તમને આગળની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરે છે. થોડા સમય માટે, આ તણાવ તમારા માટે મદદરૂપ બની શકે છે, કારણ કે તે તમને વધુ કેન્દ્રિત બનાવે છે અને તમારા કામ કરવાની રીતને સુધારે છે. જોકે, અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી તણાવ રહેવાથી તમારા શરીરમાં ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે, જેમ કે ચિંતા, હૃદય રોગ અને
રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી
કામ, પૈસા અને વ્યક્તિગત સંબંધો એવા કેટલાક પરિબળો છે જે ઘણીવાર તણાવનું કારણ બને છે અને તેને અવગણી શકાતા નથી. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે તણાવ કેટલો લાંબો સમય રહે છે. એક્યૂટ સ્ટ્રેસનો સમયગાળો ઓછો હોય છે અને તેનો ફાયદો પણ થઈ શકે છે. પરંતુ ક્રોનિક સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે છે અને તે શરીર પર ખરાબ અસર કરે છે.
એક્યૂટ અને ક્રોનિક સ્ટ્રેસ
સાયકોથેરાપિસ્ટ અને બ્રિટિશ એસોસિએશન ઑફ કાઉન્સેલિંગ એન્ડ સાયકોથેરાપી (BACP)ના સભ્ય રિચેલ વોરા કહે છે, “એક્યૂટ સ્ટ્રેસ એ કોઈ તાત્કાલિક પરિસ્થિતિનો તુરંત આવેલો જવાબ છે અને કેટલાક કિસ્સાઓમાં તે ફાયદાકારક પણ હોઈ શકે છે.” “એડ્રેનાલાઇન અને કોર્ટિસોલ છોડીને તે લડવા કે ભાગવાની પ્રતિક્રિયાને સક્રિય કરે છે. આનાથી આપણું ધ્યાન વધે છે અને થોડા સમય માટે આપણી પાચનક્ષમતા પણ સુધરે છે.”
જો એક્યૂટ સ્ટ્રેસને સારી રીતે સંચાલિત કરવામાં આવે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી અને તેના કારણે તાત્કાલિક પડકારોનો સામનો કરવામાં મદદ મળે છે. પરંતુ ક્રોનિક સ્ટ્રેસ આપણા શરીર પર ખરાબ અસર કરે છે. વોરા કહે છે કે ક્રોનિક સ્ટ્રેસથી આપણા હોર્મોન્સ પર અસર થાય છે. આનાથી હૃદય રોગ થવાનું અને પાચનતંત્ર નબળું પડવાનું જોખમ વધે છે. તેનાથી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ પણ થઈ શકે છે. ક્રોનિક સ્ટ્રેસ ચિંતા અને ડિપ્રેશન સાથે પણ જોડાયેલું છે. આનાથી આપણી ઊંઘ ખરાબ થાય છે અને શારીરિક વૃદ્ધત્વમાં તેજી આવે છે. વોરાના જણાવ્યા અનુસાર, કોઈ સમસ્યાનો સમયગાળો કેટલો લાંબો છે તેના કારણે ક્રોનિક સ્ટ્રેસ વિકસે છે અને તે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે.
તણાવ આપણા શરીરને કેવી રીતે અસર કરે છે?
યુકે નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના જણાવ્યા અનુસાર, તણાવના કારણે આપણા શરીરમાં ઘણી પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. આમાં સ્ટ્રેસ હોર્મોન્સ, કોર્ટિસોલ અને એડ્રેનાલાઇનનું નિકળવું શામેલ છે. આનાથી આપણી હૃદયની ગતિ અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને ઓક્સિજનયુક્ત રક્ત વધુ ઝડપથી આપણા સ્નાયુઓ સુધી પહોંચે છે. બ્લડ શુગર લેવલમાં વધારો થવાથી તાત્કાલિક ઊર્જા મળે છે. પરંતુ આનાથી પાચનતંત્ર અને રોગપ્રતિકારક તંત્ર પર અસર થાય છે, કારણ કે શરીર તાત્કાલિક મળેલી ઊર્જાથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે.
લાંબા સમય સુધી તણાવ રહેવો નુકસાનકારક છે. ક્રોનિક સ્ટ્રેસના કારણે વજનમાં વધારો થાય છે, ખાસ કરીને પેટની આસપાસ. સ્ટ્રેસ હોર્મોન્સની અસર યાદશક્તિ પર પડે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આનાથી ઊંઘ પણ ખરાબ થાય છે અને શરીરની પોતાને સ્વસ્થ કરવાની અને સુધારવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. NHSએ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી તણાવ રહેવાથી હૃદય રોગ, પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
શું તણાવ ફાયદાકારક છે?
યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં સહાયક સંશોધન પ્રોફેસર ગોલનાઝ તબીબનિયા કહે છે, “સ્થિતિસ્થાપકતા (રેઝિલિયન્સ) એ એવી વસ્તુ નથી જે તમારી પાસે હોય કે ન હોય. તે એક એવી કૌશલ્ય છે જે લાંબા સમય સાથે વિકસે છે.” “પડકારને અવગણવાને બદલે તેનો સામનો કરવાથી સ્થિતિસ્થાપકતા વિકસે છે.” ડૉ. તબીબનિયાનું માનવું છે કે જ્યારે લોકો તણાવને જોખમની બદલે મદદ તરીકે જુએ છે, ત્યારે તેમની શારીરિક તણાવની પ્રતિક્રિયા ઘટી જાય છે. માનસિકતામાં થોડો ફેરફાર અજાયબીઓ કરી શકે છે અને તેનાથી ચિંતા ઘટી શકે છે. તેમણે કહ્યું, “તણાવને અવગણવાને બદલે સતત તેનો સામનો કરવાથી મગજને ભવિષ્યમાં આવનારા તણાવનો સામનો કરવામાં મદદ મળે છે. આ જીમમાં જવા જેવું છે, જ્યાં વધુ વજન ઉપાડવું મુશ્કેલ હોય છે, પરંતુ તેનાથી તમને મજબૂતી મળે છે.”
તણાવ અને ચિંતા વચ્ચે શું તફાવત છે?
ચિંતા અને તણાવનો તફાવત સમજવા માટે એન્ઝાયટી સ્ટ્રેસ સંસ્થા સાથે વાત કરવામાં આવી. તેમણે જવાબ આપ્યો કે તણાવ એ બાહ્ય સમસ્યા જેમ કે કામની સમયમર્યાદા, ડ્રાઇવિંગ ટેસ્ટ કે પરીક્ષાની પ્રતિક્રિયા છે. તે પડકાર આવે ત્યારે સક્રિય થાય છે અને તણાવ ખતમ થતાં જ ગાયબ થઈ જાય છે. પરંતુ ચિંતા કોઈ સમસ્યા વિના પણ રહી શકે છે. ચિંતા લાગણીઓને સામાન્ય રાખવામાં મદદ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિ માટે તમને સજાગ રાખે છે. પરંતુ જ્યારે તે વધી જાય ત્યારે તમારા દિવસનાં તમામ કામો બગડી શકે છે.
તણાવ અને ચિંતા બંને આપણી ચેતાતંત્રને સક્રિય કરે છે, જે શરીરની લડવાની ક્ષમતા માટે જરૂરી છે. આનાથી શરીર સજાગ થાય છે અને મુશ્કેલીનો જવાબ આપવા માટે તેને ઊર્જા મળે છે. આનો અર્થ એ છે કે બંનેથી હૃદયની ગતિમાં વધારો, પરસેવો થવો અને ધ્રૂજારી જેવા લક્ષણો ઉત્પન્ન થાય છે. પરંતુ ચિંતા વધુ સમય સુધી રહે છે અને ઘણી ઊંડી હોય છે. એન્ઝાયટી યુકે ચિંતાથી નિપટવા માટે શ્વાસોચ્છવાસની કસરતની સલાહ આપે છે. આ એક સરળ પરંતુ અસરકારક તકનીક છે. તેમાં શ્વાસ લેવા કરતાં શ્વાસ છોડવામાં વધુ સમય લગાડવામાં આવે છે, જેથી શરીરને આરામ કરવાનો સંકેત મળે અને ચેતાતંત્ર શાંત થાય.
તણાવનો સામનો કેવી રીતે કરવો?
શૈક્ષણિક સંશોધન મુજબ, વર્તનમાં ફેરફારની પ્રેક્ટિસ તણાવથી શરીરને થતા નુકસાનને ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે. શારીરિક કસરતથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને મૂડ સુધરે છે. ધ્યાન પણ મનને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે છે. સંશોધનથી ખબર પડે છે કે સામાજિક સમર્થન ભાવનાત્મક મજબૂતી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડૉ. તબીબનિયા દયાળુ હોવા અને વૈજ્ઞાનિક રણનીતિઓ જેમ કે કસરત કરવી, બહાર સમય વિતાવવો, લોકોને મળવું અને પરિવાર સાથે સમય વિતાવવાના મહત્ત્વ પર ભાર મૂકે છે.
લંડનમાં માઇન્ડફુલનેસ કોચ અને સેવન બ્રેથના સ્થાપક યુકી વ્યાપક દૃષ્ટિકોણ અપનાવવાના મહત્ત્વ પર ભાર આપે છે. તેઓ કહે છે, “તણાવનું સંચાલન ફક્ત આરામ કરવા વિશે નથી. તે એવી જીવનશૈલી બનાવવા વિશે છે જેનાથી તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. જ્યારે તમે તમારા સ્વાસ્થ્યને મહત્ત્વ આપો છો, ત્યારે તણાવને સંભાળવું સરળ બને છે.” તેઓ માઇન્ડફુલનેસ, ઊંઘ, ચાલવું-ફરવું અને પોષણને તણાવ સંચાલનના મહત્ત્વના પરિબળો માને છે. તેઓ કહે છે, “તમારું આંતરડાનું માઇક્રોબાયોમ તણાવનું સંચાલન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્વસ્થ ખોરાકની પસંદગી તમને સારું રાખવામાં મદદરૂપ થાય છે.” યુકીના મતે, તણાવનું સંચાલન એવું નથી જેને તમે ઝડપથી ઠીક કરી શકો. તે રોજિંદી ટેવો બનાવવા વિશે છે જે સ્થિતિસ્થાપકતાને ટેકો આપે.
તણાવને મજબૂતીમાં કેવી રીતે બદલવું?
અમારા નિષ્ણાતો કહે છે કે તણાવ જીવનનો ભાગ છે, પરંતુ તેનાથી મળતી પીડા જરૂરી નથી. અભ્યાસમાંથી ખબર પડે છે કે જેઓ માને છે કે તણાવ થાય છે, તેઓ તેનો વધુ સારી રીતે સામનો કરી શકે છે. તેમને થાક ઓછો લાગે છે અને ભાવનાત્મક રીતે તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના સંશોધન મુજબ, તણાવને જોખમની બદલે પડકાર તરીકે જોવાથી શરીર પર તેની અસરમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. ડૉ. તબીબનિયા કહે છે, “જ્યારે લોકો તણાવને જોખમની બદલે મદદ તરીકે જુએ છે, ત્યારે તેમનો માનસિક તણાવ ઘટી જાય છે.” “તણાવ પ્રત્યેના દૃષ્ટિકોણને બદલીને વ્યક્તિ પડકારોને પોતાના વ્યક્તિગત વિકાસના મોકા તરીકે ફેરવી શકે છે.”