
મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1002 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ છે અને 2300થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ માહિતી મ્યાંમારના સૈન્ય નેતાઓએ આપી છે. થોડા કલાકો પહેલાં જ મ્યાનમારના સૈન્ય શાસનના વડા મિન ઓન્ગ હ્લેઇંગે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે.
ભૂકંપના કેન્દ્રની સૌથી નજીકના શહેર માન્ડલેમાં જ 694 લોકોનાં મોત થયાં છે. જ્યારે રાજધાની નેપીડોમાં 94 લોકોનાં મોત થયાં છે.
મ્યાનમારમાં શુક્રવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપના આંચકા પડોશી દેશ થાઇલેન્ડની રાજધાની બેંગકોક સુધી અનુભવાયા હતા. થાઇલેન્ડમાં ભૂકંપને કારણે 6 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100 મજૂર ગુમ થયા છે.
ભૂકંપના આંચકાઓથી સેંકડો માઇલ દૂર થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક 30 માળની બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થઈ હતી. તેમાં હજુ પણ ઘણા મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે.
યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, મ્યાંમારમાં ભૂકંપના પહેલા આંચકા બાદ 12 મિનિટ પછી જ બીજો આંચકો આવ્યો હતો. બીજા ભૂકંપની તીવ્રતા 6.4 હતી. આ ભૂકંપનું કેન્દ્ર સાગાઇંગથી 18 કિલોમીટર દક્ષિણમાં હતું.
મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માન્ડલેમાં બચાવ ટીમના એક કર્મચારીએ બીબીસીને જણાવ્યું કે ભૂકંપથી ભારે તબાહી થઈ છે અને સેંકડો લોકોનાં મોત થવાની આશંકા છે.
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, અમેરિકન જિયોલોજિકલ સર્વે અને જર્મનીના જીએફઝેડ સેન્ટર ફોર જિયોસાયન્સે જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હતું.
એજન્સીના જણાવ્યા અનુસાર, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા અને ત્યાં ઘણી ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી.
અમેરિકન જિયોલોજિકલ સર્વેએ તેની તીવ્રતા 7.7 ગણાવી છે, જ્યારે ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના હવાલેથી ભૂકંપની તીવ્રતા 7.9 ગણાવી છે.
મ્યાનમારના મોટા ભાગમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એક્સ પર તેમણે લખ્યું, “મ્યાંમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિથી ચિંતિત છું. બધાની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત દરેક સંભવિત મદદ આપવા તૈયાર છે. આ સંદર્ભમાં, અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને મ્યાંમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવા કહ્યું છે.”
અમેરિકન જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 10 કિલોમીટર નીચે હતું.
ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના માન્ડલે શહેર નજીક હતું. તાજેતરની તસવીરોમાં દેખાય છે કે ઇરાવડી નદી પર બનેલો એક વિશાળ પુલ ધરાશાયી થયો છે. એવી પણ ખબરો છે કે મ્યાંમારની રાજધાની નેપીડોમાં રસ્તાઓમાં તિરાડો પડી છે.
જ્યારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ ઇમારતો ધરાશાયી થતાં લોકો દૂર ભાગતા જોવા મળ્યા હતા. એક વીડિયોમાં દેખાય છે કે એક ઇમારતના સ્વિમિંગ પૂલનું પાણી ઊંચી લહેરો ઉઠાવી રહ્યું છે. સરકાર ઇમરજન્સી બેઠક યોજી રહી છે.
બેંગકોકમાં હાજર પત્રકારે શું જણાવ્યું
બેંગકોકમાં રહેતી બીબીસીની પત્રકાર બુઈ થૂએ બીબીસી વર્લ્ડ સર્વિસના ન્યૂઝડે કાર્યક્રમમાં જણાવ્યું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેઓ ઘરમાં ખાવાનું બનાવી રહ્યાં હતાં.
તેમણે કહ્યું, “હું ખૂબ ગભરાઈ ગઈ હતી. મને ખબર નહોતી કે આ શું છે, કારણ કે મને લાગે છે કે એક દાયકો થઈ ગયો જ્યારે બેંગકોકમાં આટલો તીવ્ર ભૂકંપ અનુભવાયો હતો.”
તેમણે જણાવ્યું, “મારા એપાર્ટમેન્ટમાં મેં કેટલીક દીવાલોમાં તિરાડો જોઈ અને સ્વિમિંગ પૂલમાંથી પાણી છલકાઈ રહ્યું હતું, લોકો ચીસો પાડી રહ્યા હતા.”
ભૂકંપના આફ્ટરશોક બાદ તેઓ અને અન્ય લોકો રસ્તા તરફ ભાગ્યા હતા.
તેમણે કહ્યું, “અમારી આસપાસ શું થઈ રહ્યું છે, તે અમે હજુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
“બેંગકોકમાં ઇમારતો ભૂકંપ પ્રતિરોધક રીતે બનાવવામાં આવતી નથી, મને લાગે છે કે તેથી નુકસાન વધુ થયું છે.”
બેંગકોકમાં હાજર બીબીસીની ટીમે ઇમારતો હલતી અનુભવી અને લોકોને રસ્તાઓ પર નીકળતા જોયા.
બીબીસી ટીમે જણાવ્યું કે ભૂકંપનો આંચકો ખૂબ તીવ્ર હતો અને બારીમાંથી એક ગગનચુંબી ઇમારતની ઉપરના માળેથી પાણી રસ્તા પર પડતું જોવા મળ્યું હતું.
યુએસજીએસના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઇંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, માન્ડલે શહેર નજીક હતું. આ રાજધાનીથી લગભગ 100 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે.